મોડાસાના ભીલકુવા ગામનો સાગરસિંહ ચૌહાણ નામનો વિદ્યાર્થી મોડાસાના માલપુર રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલમાં 12મા આર્ટસના વર્ગમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે આ વિદ્યાર્થીને નબળાઈ જણાતાં ઘરે જઈને તેના પરિવારજનોને ફરિયાદ કરી હતી. આથી સાગરસિંહ ચૌહાણને સારવાર માટે મોડાસા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં આ વિદ્યાર્થીનું આકસ્મિક મોત થતાં અફરાતફરી મચી ગઈ હતી.
માત્ર 17 વર્ષનો સગસિંહ ચૌહાણ માત્ર શાળામાં જ નહીં પરંતુ તેના પરિવારમાં પણ તેજસ્વી હતો. સામાન્ય બિમારીના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની જાણ થતાં અન્ય યુવકો અને તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. સાગરસિંહ ચૌહાણના અવસાનના સમાચાર સાંભળી સરસ્વતી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બાળકની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી અને તેના પરિવારને સાંત્વના પાઠવી હતી.