આજે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી. જેમાં સુપ્રીમ કોર્ટે ‘મોદી અટક’ પર તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી અને રાજ્ય સરકારનો જવાબ માંગ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં રાહુલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેની દોષિત ઠરાવવામાં રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગાવી અને જસ્ટિસ પીકે મિશ્રાની બેન્ચે રાહુલની અરજી પર સુનાવણી કરતા પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. નોંધનીય છે કે પૂર્ણેશ મોદીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન ‘મોદી સરનેમ’ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ 2019માં કોંગ્રેસ નેતા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું કે કોંગ્રેસના નેતા 111 દિવસથી પીડાઈ રહ્યા છે, સંસદના એક સત્રમાં હાજરી આપવાની તક ચૂકી ગયા અને બીજા સત્રમાં હાજરી આપવાની તક ગુમાવવાના છે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 4 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. 15 જુલાઈના રોજ દાખલ કરવામાં આવેલી અરજીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો 7 જુલાઈના રોજ આપવામાં આવેલા આદેશ પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, અભિપ્રાય અને નિવેદનની સ્વતંત્રતાનું ગળું દબાવી દેશે.
રાહુલ ગાંધીને ‘મોદી અટક’ વિશેની તેમની વિવાદાસ્પદ ટીપ્પણીને લગતા ગુનાહિત માનહાનિના કેસમાં ગુજરાતની અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ 24 માર્ચે લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલની સજા પર સ્ટે મુકવાથી તેમના લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત થવાનો માર્ગ મોકળો થઈ શક્યો હોત પરંતુ તેમને સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી.