અગાઉ 16મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના નવા હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા હતી, પરંતુ હવે 27મી જુલાઈને ગુરુવારે હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ થઈ રહી છે. હિરાસર એરપોર્ટના બાકીના કામો ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)ની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. તમામ પેન્ડિંગ કામો આજે એટલે કે 17મી જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ 27 જુલાઈએ ખુલે તેવી શક્યતા છે.
એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વીવીઆઈપી મુવમેન્ટને લઈને જરૂરી આદેશો આપવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે હીરાસર એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલા 16 જુલાઈના રોજ વડાપ્રધાન દ્વારા તેનું ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ કેટલાક કારણોસર તે શક્ય બની શક્યું ન હતું. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થતાં જ સૌરાષ્ટ્રની જનતાને મોટી ભેટ મળશે.આગામી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજકોટ એરપોર્ટને હિરાસર ખાતે ખસેડવામાં આવે તેવી શક્યતાઓ છે. આ માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી રહી છે.