પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ખર્ચમાં ઘટાડા મુદ્દે સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશન વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. નેફ્રોલોજિસ્ટ એસોસિએશને આજથી 16મી ઓગસ્ટ સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ વિરોધમાં રાજ્યના કુલ 102 ડોક્ટરો સરકાર સામે વિરોધ નોંધાવશે.
જેમાં રાજકોટ સિવિલમાં આવેલા દર્દીએ જણાવ્યું હતું કે સરકાર અને નેફ્રોલોજીના તબીબો વચ્ચેની લડાઈના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ડૉક્ટરો અમારા માટે ભગવાન છે, સરકારે તેમની માંગ તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ. આ સાથે દર્દીઓ અને તેમના સંબંધીઓએ સરકારને આ સમસ્યાનો તાત્કાલિક અંત લાવવા અપીલ કરી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.કે. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં નેફ્રોલોજિસ્ટ તબીબોની હડતાળ માટે સિવિલ હોસ્પિટલો તૈયાર છે. હાલમાં 25 બેડની સુવિધા છે. 3 થી 4 બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. દરરોજ 90 થી વધુ દર્દીઓને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમને સરકાર તરફથી પણ સૂચનાઓ મળી છે જેથી દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે.
ખાનગી હોસ્પિટલોએ આયુષ્માન યોજના હેઠળ ડાયાલિસિસ માટે 2,000 રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ આ રકમ ઘટાડીને 1,650 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે તેમાં 17 ટકાનો ઘટાડો થયો છે. તેથી જ એસોસિએશને ત્રણ દિવસ માટે ડાયાલિસિસ બંધ રાખવાની જાહેરાત કરી છે. રાજ્યમાં એક વર્ષમાં એક કરોડ 30 લાખ ડાયાલિસિસ થાય છે. જેમાંથી 1 કરોડ 2 લાખ એટલે કે 78 ટકા ડાયાલિસિસ ખાનગી હોસ્પિટલોમાં થાય છે. જેના કારણે આ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન તબીબો ત્રણ દિવસ ખાનગી પ્રેક્ટિસ કરશે, પરંતુ કાર્ડ હેઠળ સારવાર નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં PMJAY એ બાયપાસ સર્જરી અને ઘૂંટણ બદલવા જેવી સર્જરીઓ માટે રૂ. 10,000 થી રૂ. 60,000 સુધીના વધારાને મંજૂરી આપી છે.