દિલ્હી: લોકસભામાં સુરક્ષાની ખામી અંગે રાજનાથ સિંહે કહ્યું કે દરેકે આ ઘટનાની નિંદા કરી છે. તમે (સ્પીકરે) આ બાબતની નોંધ લીધી છે. આપણે કોને પાસ (સંસદમાં પ્રવેશવા) આપીએ છીએ તેની કાળજી રાખવી પડશે. ભવિષ્યમાં દરેક સંભવિત સાવચેતી રાખવામાં આવશે. ગઈકાલે એટલે કે 13મી ડિસેમ્બરે થયેલી લોકસભામાં સુરક્ષા ભંગની ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ લોકસભામાં બોલી રહ્યા છે. તેમણે આ ઘટનાની નિંદા કરી છે.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેના તમામ સાંસદોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જેઓ ગૃહમાં અરાજકતાની સ્થિતિ પેદા કરી શકે છે તેમને પાસ આપવામાં ન આવે.
વિપક્ષી ગઠબંધન અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યું છે
સુરક્ષા ભંગને લઈને વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદોએ પણ આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગઈકાલે ગૃહમાં જે બન્યું તેનાથી અમે બધા ચિંતિત છીએ. ગૃહની સુરક્ષા લોકસભા સચિવાલયની જવાબદારી છે.
પીએમ મોદીએ મંત્રીઓ સાથે બેઠક કરી
પીએમ મોદીએ સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને અનુરાગ ઠાકુર હાજર હતા. સંસદના શિયાળુ સત્રના નવમા દિવસે વિપક્ષે સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને હંગામો મચાવ્યો હતો. જે બાદ લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો ચાલુ છે.