રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસને ભારે ઝટકો લાગ્યો છે. મોડી સાંજે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની ખૂબ જ નજીકના ગણાતા પૂર્વ મેયર રામેશ્વર દધીચ ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે ગુરુવારે રાત્રે જયપુરમાં બીજેપીના મીડિયા સેન્ટરમાં તેમને ભાજપનો ભગવો ધારણ કરાવ્યો હતો. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી સમયે બળવાખોરી સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસની સમસ્યાઓ ઓછી થવાને બદલે એક પછી એક વધી રહી હોવાનો સંકેત દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી સમયે કરાતા બળવાને રોકવા માટે શરૂ કરવામાં આવેલ મિશન-25 પણ બિનઅસરકારક સાબીત થઈ હોવાનું જણાય છે. ગઈકાલ ગુરુવારે સાંજે પૂર્વ મેયર રામેશ્વર દધીચે ભાજપમાં જોડાવાની જાહેરાત કરતાં કોંગ્રેસ પક્ષને વધુ એક મોટો ફટકો પડ્યો હતો. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે કરાયેલી આ જાહેરાતથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે…
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના નજીકના ગણાતા પૂર્વ મેયર રામેશ્વર દધીચ ગુરુવારે સાંજે ભાજપમાં જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને જયપુરના ઉભા કરાયેલા મીડિયા સેન્ટરમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે, પૂર્વ મેયર રામેશ્વર દધીચને ભાજપ પાર્ટીનું સભ્યપદ એનાયત કર્યું હતું. આ દરમિયાન રાજ્યસભાના સભ્ય રાજેન્દ્ર ગેહલોત પણ ઉપસ્થિત રહ્યાં હતા. રામેશ્વર દધીચની સાથે દૌસાના પૂર્વ જિલ્લા પ્રમુખ વિનોદ શર્માએ પણ ભાજપનું સભ્યપદ ધારણ કર્યું હતું. રામેશ્વર દધીચે સુરસાગર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ટિકિટની માગણી કરી હતી. જો કે, કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ ના મળતાં તેમણે બળવો કરીને સુરસાગર વિધાનસભામાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ પછી તેમણે ગુરુવારે પોતાનું અપક્ષ તરીકેનુ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું. મોડી સાંજે રાજ્યસભાના સાંસદ રાજેન્દ્ર ગેહલોત દધીચને વિશેષ વિમાન દ્વારા જયપુર લઈ ગયા, જ્યાં તેમણે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી…
શું ભાજપના દબાણમાં ઉમેદવારી પાછી ખેંચાઈ?.. જે જણાવીએ, રામેશ્વર દધીચે કોંગ્રેસ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ગઈકાલ ગુરુવારે જ્યારે તેમણે પોતાનું ઉમેદવારી પાછું ખેંચ્યું ત્યારે એવું માનવામાં આવતું હતું કે કદાચ રામેશ્વર દઘિચને સમજાવવા માટેના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પ્રયાસો સફળ સાબિત થયા છે. જો કે, પાછળથી એ બાબત સ્પષ્ટ થઈ હતી કે દધીચને તેમનું ઉમેદવારી પત્ર પાછી ખેંચવા માટે કોંગ્રેસ તરફથી કોઈ સંપર્ક પણ કરવામાં આવ્યો ન હતો. મોડી સાંજે જ્યારે તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ નિર્ણય ભાજપના બ્રાહ્મણ નેતાઓના દબાણમાં લેવાયો છે. વાસ્તવમાં જો દધીચ સુરસાગરમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હોત તો તેનાથી હિંદુ મતોમાં વિભાજન થયું હોત. અને તેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર શહેઝાદ ખાનને થઈ શક્યો હોત.