રવિવારે રાજ્યમાં મહાનગરપાલિકાની 29 અને 18 મહાનગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેનું આજે પરિણામ આવ્યું છે. પરિણામોમાં ભાજપની મોટાભાગની પેનલનો વિજય થયો છે. જો કે ત્રણેય નગરપાલિકાઓમાં ખાલી પડેલી કેટલીક બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે. પાલનપુર નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર-4ની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીમાં 37.96 ટકા મતદાન થયું હતું. આ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર મોહમ્મદભાઈ મન્સુરીએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું છે. જેના કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ચાર ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ભાજપે આરબ નદીમ મોહમ્મદને અને કોંગ્રેસે રાજીનામું આપનાર મોહમ્મદભાઈ મન્સુરીને ટિકિટ આપી હતી. ત્રણ શાળાના કુલ 12 બુથ માટે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં 37.96 ટકા મતદાન થયું હતું. આજે 13માં રાઉન્ડની મતગણતરીમાં કોંગ્રેસના મહંમદભાઈ મન્સુરીનો ફરી 48 મતોથી વિજય થયો છે. ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં અપક્ષ ઉમેદવારના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી હતી. અહીં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. રવિવારની પેટાચૂંટણીમાં 43% મતદાન થયું હતું અને 8,000 થી વધુ પાત્ર મતદારોમાંથી લગભગ 3,600 મતદારો હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન કુરેશીને 2024, ભાજપના ઉમેદવાર કાંતિલાલ લોઢાને 1122 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીજ્ઞેશ દેસાઈને 431 મત મળ્યા હતા. જ્યારે 36 મત NOTAને પડ્યા હતા. આ રીતે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન કુરેશીનો 902 મતોથી વિજય થયો હતો. ડીસામાં લાંબા સમય બાદ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. પાલિતાણા નગરપાલિકાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે રવિવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે ત્રણ અને ભાજપે બે બેઠકો જીતી છે. વોર્ડ નં.-1ની ત્રણ ખાલી પડેલી બેઠકો પર 55.24 ટકા મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ સાગઠીયા, કિરણબેન કુકડેજા અને અલારખીબેન અબડાનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર 7ની ખાલી પડેલી બે બેઠકો પર ભાજપના ઉમેદવાર પ્રવિણભાઈ ગઢવી અને રેખાબેન મકવાણાનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે પાલિતાણા નગરપાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નં.1ના કોંગ્રેસના ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયા પાલીતાણાના છે. જેની સામે કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસરે હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેની સામે રિટ પિટિશન ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે રિટર્નિંગ ઓફિસરે કરેલી ઉમેદવારી રદબાતલ ઠેરવી ઓમદેવસિંહને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. આ આદેશ સામે રિટર્નિંગ ઓફિસરે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેની સામે સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુક્યો હતો અને ચૂંટણી અધિકારી દ્વારા રદ કરાયેલા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ યથાવત રાખ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઓમદેવસિંહ સરવૈયાનું ચૂંટણી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું અને તેમની જગ્યાએ કોંગ્રેસના ડમી ઉમેદવાર કિરીટભાઈ સાગઠીયા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડ્યા હતા.