(જીએનએસ) તા. 18
ગાંધીનગર,
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમનો જન્મદિવસ સેવા અને સખાવતી પ્રવૃત્તિઓમાં વિતાવ્યો. રાજભવન ખાતે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, રાજ્યપાલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વૃંદાવન ગૌધામ, સેક્ટર-30 ખાતે ગાયોને 131 મણ ઘાસ ખવડાવ્યું હતું. આજે સવારે અમરેલીના બગસરા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના દિવ્યમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ખેડૂતોને કુદરતી ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. અમરેલી જિલ્લાના પાંચ ગામોના સરપંચોએ રાજ્યપાલને જન્મદિનની ભેટ આપી કુદરતી ખેતી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. તો કુદરતી ખેતી કરતા 11 ખેડૂતોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને કુદરતી ખેતી દ્વારા ઉત્પાદિત 11 ખેત પેદાશોની ભેટ આપી હતી.
તેમના જન્મદિવસની સવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સર્વ ભવન્તુ સુખિનઃના આશીર્વાદ સાથે રાજભવન પરિસરમાં યજ્ઞશાળામાં યજ્ઞ હવન કર્યો હતો.