મુંબઈઃ મજબૂત આર્થિક વિકાસ દર અને ઊંચા ફુગાવાને જોતાં, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) આવતીકાલે તેની ત્રણ દિવસની બેઠકના અંતે સતત સાતમી વખત રેપો રેટ યથાવત રાખે તેવી અપેક્ષા છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને હીટ વેવની આગાહી રિઝર્વ બેંક માટે ચિંતાનો વિષય બની ગઈ છે.
ખાનગી પેઢી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાગ લેનારા મોટાભાગના બેન્કરો અને વિશ્લેષકોએ વ્યાજ દર 6.50 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.50 ટકા કર્યા પછી, રિઝર્વ બેંકે દરેક આગામી મીટિંગમાં વ્યાજ દર યથાવત રાખ્યા છે. એક બેંકરે કહ્યું કે, RBI જુલાઈ પહેલા વ્યાજદરમાં ઘટાડો નહીં કરે.
એક અર્થશાસ્ત્રીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી, ફુગાવાનો ઊંચો દર અને મજબૂત આર્થિક વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખીને MPC હાલમાં રેપો રેટમાં ઘટાડો કરવાનું યોગ્ય માનતું નથી.
2023 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર 8.40 ટકા હતો, જે મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ હતો. આ સિવાય ફેબ્રુઆરીમાં મોંઘવારી દર પણ 5.09 ટકાની અપેક્ષા કરતાં વધુ હતો. જે રિઝર્વ બેન્કના 4 ટકાના લક્ષ્યાંક કરતા ઘણો વધારે છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ કહ્યું હતું કે ફુગાવો 4 ટકાની આસપાસ ન આવે ત્યાં સુધી રેપો રેટમાં ઘટાડો કરવો અકાળ ગણાશે.
ભારતની જીડીપી મજબૂત છે, પરંતુ તેની ક્ષમતા પ્રમાણે નથી. નવા નાણાકીય વર્ષની MPCની પ્રથમ સમીક્ષા બેઠક 3 એપ્રિલના રોજ શરૂ થઈ હતી અને MPC આવતીકાલે ત્રણ દિવસની બેઠકના અંતે નાણાકીય નીતિ જાહેર કરશે.
મે 2022થી વ્યાજ દરમાં કુલ 250 બેસિસ પોઈન્ટ્સ (અઢી ટકા)નો વધારો કરીને 6.50 ટકા કરવામાં આવ્યો છે.
તાજેતરના હીટ વેવની આગાહી અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોએ રિઝર્વ બેંક માટે ચિંતા વધારી છે અને ફુગાવો ઘટાડવાના તેના પ્રયાસો લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે.
રિપોર્ટમાં અન્ય એક વિશ્લેષકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય જુલાઈમાં ચોમાસા અને પાકની સિંચાઈની પ્રગતિ પર નજર રાખ્યા બાદ લેવામાં આવી શકે છે.