ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુજરાતના ગાંધીનગરમાં લોથલ ખાતે બનાવવામાં આવી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયા; બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈક અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, ‘આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NHMC) વિકસાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “NMHC ભારતના વૈવિધ્યસભર દરિયાઈ ઈતિહાસને જાણવા અને સમજવા માટે એક કેન્દ્ર તરીકે કામ કરશે અને તે એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઈતિહાસ સરળતાથી સમજી શકે.” સોનોવાલે પ્રોજેક્ટના વિકાસમાં સતત સહકાર આપવા બદલ ગુજરાત સરકારનો પણ આભાર માન્યો હતો.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટની પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી છે અને રાજ્યને સોંપવામાં આવેલી વિવિધ જવાબદારીઓને નિભાવવામાં ગુજરાતના સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન ફાળવી છે. વધુમાં, સ્ટાફ ક્વાર્ટર્સના વિકાસ માટે વધારાની 25 એકર જમીન ફાળવવામાં આવી છે; રાજ્ય ધોરીમાર્ગથી NMHC પ્રોજેક્ટ સાઇટ સુધીના રસ્તાને 4 લેન કરવાની પ્રક્રિયા ચાલુ છે; લગભગ 25 કિલોમીટર દૂરથી નર્મદાના પાણી પુરવઠાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. લગભગ 17 કિમી ટ્રાન્સમિશન લાઇન નાખવાનું કામ ચાલુ છે અને 66 KV GIS સબસ્ટેશન સ્થાપવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે પ્રગતિમાં છે અને રાજ્ય સરકારે માળખાકીય વિકાસ માટે રૂ. 150 કરોડનું યોગદાન આપ્યું છે.