વંદે ભારત ટ્રેન: રેલ્વે મંત્રાલય 27 જૂનથી ઝારખંડની રાજધાની રાંચી અને બિહારની રાજધાની પટના વચ્ચે આઠ કોચવાળી વંદે ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરશે. રવિવારે તેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ યાત્રા સફળ રહી હતી.
હાજીપુર ઝોનમાં દક્ષિણ-પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી, બિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, રવિવારે આ આઠ કોચની હાઇ-સ્પીડ પેસેન્જર ટ્રેનની ત્રીજી ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી હતી. અગાઉ 12 અને 18 જૂને આ ટ્રેનની અનુક્રમે પ્રથમ અને બીજી ટેસ્ટ યાત્રા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે હવે આ ટ્રેન 27 જૂને ઉદ્ઘાટન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને 28 જૂનથી બંને શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેનનું નિયમિત સંચાલન પણ શરૂ થશે.
આ ટ્રેનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન કરે તેવી શક્યતા છે. દક્ષિણ પૂર્વીય રેલ્વેએ શનિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે રેલ્વે મંત્રાલય દ્વારા ખાતરી કરવામાં આવી છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પટના-રાંચી-પટના વચ્ચે ચલાવવામાં આવશે.
ઉદ્ઘાટન બાદ ટ્રેન નંબર 02439 રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ સવારે 10:30 વાગ્યે રાંચીથી ઉપડશે. ટ્રેન નંબર 22349 પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 28 જૂનથી અઠવાડિયામાં છ દિવસ (મંગળવાર સિવાય) પટનાથી ઉપડશે.