બનાસકાંઠા ના તાલુકા મથક વડગામથી જિલ્લા મથક પાલનપુરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ ખરોડિયા ચોકડી પાસે સામાન્ય વરસાદમાં રોડની બન્ને સાઈડો બેસી જતા તંત્રએ રેતથી ખાડા પૂરી સંતોષ માન્યો હતો. ત્યારે એક વર્ષ અગાઉ થયેલ રોડના પેવર કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરી હોવાના સ્થાનિકો આક્ષેપો કર્યા હતા.વડગામ તાલુકાના ૮૦ જેટલા ગામોના નાગરિકોને સરકારી કામો સહિત ધંધાર્થે જિલ્લા મથક પાલનપુર જવા માટેના મુખ્ય ગણાતા રોડ ઉપર આવેલ ખરોડિયા, ફતેપુર, વગદા, લાલાવાડા ચોકડી, ગણેશપુરાથી પાલનપુરને જોડતા રોડનું પેવર કામ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યાના આક્ષેપો થઈ રહ્યા છે જ્યારે રોજના સેંકડો વાહનો આ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે રોડ સાંકડો હોવાથી વાહન ચાલકોને વાહન હંકારવામાં ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ખરોડિયા ચોકડીથી પાલનપુર સુધી લગભગ એક વર્ષ પહેલા રોડનું પેવર કામ કરવામાં આવ્યું હતુ. સામાન્ય વરસાદમાં ખરોડિયા ચોકડી પર રોડ બંને સાઈડો બેસી ગઈ હોવાનું જાણવા મળે છે . ત્યારે જવાબદાર તંત્રના અધિકારીઓએ રોડની આસપાસ માટી કામ દ્વારા ખાડા પૂરી સંતોષ માન્યો હતો. જોકે, રોડનું પેવર કામ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડની ધારો યોગ્ય રીતે પુરાણ ના કરતા સામાન્ય વરસાદમાં રોડ સાઈડો તેમજ રોડ ઉપર ખાડા પડી ગયા છે. તો ફતેપુર નજીક રોડની સાઈડમાં મોટો ભુવો પડતા રોડ તૂટી જતો સ્થાનિક લોકોએ કાંટાનું ડાળું મૂકી વાહન ચાલકોને સાવચેત રાખવાનો પ્રયાસ કર્યો છે. આ બાબતે જવાબદાર તંત્ર તાત્કાલિક યોગ્ય તપાસ કરી કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
રોડ પહોળો કરવાની તાતી જરૂરિયાત : અશ્વિન સક્સેના
વડગામ – પાલનપુરને જોડતા મુખ્ય માર્ગ ઉપરથી રોજના અસંખ્ય વાહન ચાલકો પસાર થાય છે. જોકે રોડ સાંકડો હોવાના વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. જેથી માર્ગને પહોળો કરવા સાથે સમારકામ કરવા માગ કરી હતી.