ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત તેમનો એક પ્લોટ દાનમાં આપ્યો છે. આ જમીનના ટુકડા પર નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. જે ભવિષ્યમાં સંગીતના જ્ઞાનનું અનોખું કેન્દ્ર બનશે. તેના નિર્માણનો હેતુ પણ ખૂબ જ ખાસ છે. આ કેન્દ્રમાં ભારતીય સંગીત કલાનું જ્ઞાન એક જ છત નીચે આપવામાં આવશે.
ભારતીય સંગીતની તમામ કળાના જ્ઞાનને એક છત નીચે લાવવાના ઉમદા આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરમાં પોતાનો પ્લોટ દાનમાં આપ્યો છે. જેની ઉપર ગાંધીનગરમાં મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર 1માં ભવ્ય ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. તેમજ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજે 3 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના સેક્ટર-1માં બુધવારે મનમંદિર ફાઉન્ડેશન દ્વારા ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્રનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો. નાદ બ્રહ્મ કલા કેન્દ્રની ડિઝાઇન પણ અદ્ભુત છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં વીણા આકારની જગ્યા પણ આપવામાં આવી છે.
આ બિલ્ડિંગમાં 16 માળ હશે
આ પહેલનો ઉદ્દેશ્ય 16 માળના નાદ બ્રહ્મ ભવનનું નિર્માણ કરવાનો છે. જે ગાંધીનગરને ભારતીય સંગીત અને કલા દ્રશ્યનું મહત્વનું કેન્દ્ર બનાવશે. નાદ બ્રહ્મ કલા કેન્દ્રમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. ત્યાં 12 થી વધુ વર્ગો પણ હશે જ્યાં લોકો સંગીત અને નૃત્ય શીખી શકશે. અહીં એક મોટું થિયેટર બનશે, જેમાં 200 લોકોની ક્ષમતા હશે. આવા 5 સ્ટુડિયો બનાવવામાં આવશે જેમાં અભ્યાસની સાથે પ્રેક્ટિસ પણ કરી શકાશે. આ સાથે નાદબ્રહ્મમાં ઓપન થિયેટર પણ બનશે.
એક આધુનિક પુસ્તકાલય અને આઉટડોર મ્યુઝિક પાર્ક પણ હશે
દિવ્યાંગો માટે પણ અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. તેમાં આધુનિક પુસ્તકાલય હશે. સંગીતના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ હશે. આઉટડોર મ્યુઝિક પાર્ક પણ હશે. રેસ્ટોરન્ટ ઉપરાંત આર્ટ સેન્ટર સંકુલમાં એક કાફેટેરિયા પણ હશે. નજીકના ભવિષ્યમાં આ કેમ્પસમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી શકે છે. આ હેતુ માટે, મનમંદિર ફાઉન્ડેશન સેક્ટર-1માં એક સેન્ટર બનાવી રહ્યું છે, જે સંગીત અને કલા પ્રવૃત્તિઓ માટે એક અનોખું કેન્દ્ર હશે.