(GNS),31
દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે. પરંતુ ગુજરાતને દિવાળીની ભેટ મળી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા ગુજરાતને વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. આ સાથે વડાપ્રધાને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત મિશન તરફ જવાનો રોડ મેપ પણ રજૂ કર્યો હતો. વડાપ્રધાને આપેલી આ ભેટથી ગુજરાત વધુ જળસંપન્ન બનશે. આજે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો PM મોદી કેવડિયામાં એકતા દિવસની ઉજવણી કરવા આવ્યા છે, જ્યાં સરદાર પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમા છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમાના ચરણ સ્પર્શ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે એકતા પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. તો કેવડિયામાં અનેક વિકાસ કામોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
આ ખાસ દિવસે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતિ છે. દેશને એક કરનાર નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2019થી 31મી ઓક્ટોબરે એકતા દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. દર વર્ષે એકતા દિવસે કેવડિયા સહિત રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે વડાપ્રધાન મોદી આ પરેડમાં હાજર છે. આ પરેડ માટે દેશભરમાંથી NCC કેડેટ્સ આવ્યા છે, જેમણે તેમના પ્રદેશની સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. આ સાથે પીએમએ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ કર્મચારીઓની પરેડની સલામી પણ લીધી હતી.