(GNS),તા.18
વડોદરાના હરાણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 10થી વધુ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. નૌકા વિહાર કરતી વખતે બોટ પલટી ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓ લાઈફ જેકેટ પહેર્યા વગર બોટમાં ફસાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હરાણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમે બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે, જ્યારે તળાવમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં
ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની માહિતી મળી છે, 16ની ક્ષમતા સામે 25થી વધુ વિદ્યાર્થીઓ બોટમાં બેસાડવા આવ્યા હતા. આ ઘટનામાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામની બે શિક્ષિકાઓના મોત થયા છે. તો આ ઘટનામાં કુલ 13 બાળકોના મોત થયા છે, પરંતુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે કે, 16ની ક્ષમતા સામે 25થી વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં કેમ આવ્યા? તો શા માટે વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરવા માટે બનાવવામાં ન આવ્યા? આ તમામ પ્રશ્નોના જવાબ તંત્ર પાસે નથી.