(GNS),તા.10
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં વિકસેલ ભારત સંકલ્પ યાત્રાનો રથ સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી લઇ ગામડે ગામડે ફરી રહ્યો છે. વિકાસ ભારત સંકલ્પ યાત્રા કલોલ તાલુકાના રાંચરડા ગામે પહોંચી હતી. વિકાસ ભારત સંકલ્પ યાત્રાના રથનું મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ‘મેરી જુબાની, મેરી કહાની’માં રાંચરડાણા ગામના વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને આવનારી પેઢીને વારસાગત ફળદ્રુપ જમીન મળે તે અંગે જાગૃતિ લાવવા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ નાટકની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વાગત ગીત અને દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા.
કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓન ધ સ્પોટ ક્વિઝના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાંચરડા ગ્રામ પંચાયતને મહાનુભાવોના હસ્તે ‘હર ઘર જલ’ માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. ડ્રોન દ્વારા દવાનો છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની વિવિધ 17 કલ્યાણકારી યોજનાઓનો લાભ ભારતના ગામડાઓમાં 100% લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે, તેથી નાગરિકોને પણ આ યોજનાઓનો લાભ મળે તે જરૂરી છે. આ માટે કલોલ તાલુકા પંચાયતની આરોગ્ય, કૃષિ, શિક્ષણ વગેરે શાખાઓ દ્વારા વિવિધ યોજનાઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેનો ગ્રામજનોએ ખૂબ જ લાભ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટોલનું નિદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામાજી ઠાકોર, કલોલ તાલુકા વિકાસ અધિકારી શ્રી કલ્પેશસિંહ ચાવડા, તલાટી મંત્રી, શિક્ષકો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.