મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાએ ઉત્પાદકતા અને વૃદ્ધિને ટકાવી રાખવા માટે બહુપક્ષીય નીતિ પ્રતિભાવની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે એવા સમયે જ્યારે ઘણા પરિબળો અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે ત્યારે આવી કાર્યવાહી જરૂરી બની જાય છે. તેમણે કહ્યું કે નીતિગત પ્રતિભાવને ટેક્નોલોજીકલ મૂડી, સંશોધન અને વિકાસમાં લાંબા ગાળાના રોકાણ, કૌશલ્ય વિકાસ અને ભૌતિક માળખાકીય સુવિધાઓના નિર્માણ દ્વારા સમર્થન મળવું જોઈએ.
રવિવારે લોનાવાલામાં 6ઠ્ઠી એશિયા KLEMS કોન્ફરન્સમાં બોલતા પાત્રાએ જણાવ્યું હતું કે ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રો (EMDEs)એ ઉત્પાદકતા વૃદ્ધિ માટે સેવા ક્ષેત્રની સંભાવનાનો ઉપયોગ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ પગલાંમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવાના પ્રયાસો કરવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધ કામદારોમાં શ્રમ દળની સહભાગિતા દરમાં વધારો કરવાથી પણ ઉત્પાદકતા વધી શકે છે.