કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે કાશ્મીર મુદ્દા પર સંસદને સંબોધિત કરી હતી. તેમને કાશ્મીર માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને જવાબદાર ગણાવ્યા હતા. આ નિવેદન બાદ અમિત શાહ કોંગ્રેસના નિશાના પર છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જવાહરલાલ નેહરૂ અમિત શાહથી ઓછા જ્ઞાની હતા, ત્યારે આ મુદ્દે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું જવાહરલાલ નેહરૂએ ભારત માટે પોતાનું જીવન આપી દીધુ, વર્ષો સુધી જેલમાં રહ્યા. અમિત શાહને કદાચ ઈતિહાસ ખબર નથી. આ વાત માત્ર ભ્રમિત કરવા માટે કહેવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું મૂળ મુદ્દા જાતિગત વસ્તી ગણતરી, ભાગીદારી અને દેશનું ધનને કોના હાથમાં જઈ રહ્યું છે, તે છે. આ મુદ્દાઓ પર આ લોકો ચર્ચા કરવા ઈચ્છતા નથી. તેનાથી ડરે છે અને ભાગતા ફરે છે. અમે આ મુદ્દાને આગળ લઈને જઈશું અને ગરીબ લોકોને તેમનો હક અપાવીશું..
જણાવી દઈએ કે અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીર અનામત સુધારા બિલ અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા જવાહરલાલ નેહરૂ પર આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું કે જમ્મૂ કાશ્મીરને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની ભૂલોના કારણે નુકસાન સહન કરવુ પડ્યુ. રાહુલ ગાંધીએ અમિત શાહના નિવેદન પર જવાબ આપતા કહ્યું કે પંડિત નેહરૂએ હિન્દુસ્તાન માટે પોતાનો જીવ આપી દીધો. તે વર્ષો સુધી જેલમાં રહ્યા. અમિત શાહને કદાચ ખબર નથી. હું તેમની પાસેથી અપેક્ષા પણ નથી રાખતો કે તેમને ઈતિહાસ ખબર હશે, કારણ કે તે ઈતિહાસનું પુનઃલેખન કરતા રહે છે. રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ સાંસદ અધીર રંજને અમિત શાહને ટોણો માર્યો હતો. તેમને કહ્યું કે કાશ્મીરને લઈ અમિત શાહને સારી રીતે વાંચવાની જરૂર છે. તે સમયે જે સ્થિતિ હતી, સીઝફાયર કરવુ સેનાનો નિર્ણય હતો, બની શકે કે જવાહરલાલ નેહરૂ અમિત શાહની જેમ તેટલા જ્ઞાની ન રહ્યા હોય પણ મારે અમિત શાહને કહેવુ છે કે બધા જ લોકોએ ભૂલ કરી છે, તમે સારૂ કરી રહ્યા છો તો તમે પીઓકે ક્યારે પરત લાવશો.