ચહેરો
સુરતના ભેસ્તાન વિસ્તારના શેલ્ટર હોમમાં અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. શેલ્ટર હોમના સંચાલક તરુણ મિશ્રા દ્વારા શેલ્ટર હોમની અંદર એક પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે, જેથી અહીં આશ્રય લેનારા ઘરવિહોણા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય. અહીં બાળકોને હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવે છે.
સુરતમાં ભારત સરકારના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા બેઘર લોકો માટે આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. આ પૈકી ભેસ્તાન શેલ્ટર હોમનું સંચાલન જ્યોતિ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઈઝેશન અને હેલ્પ ડ્રાઈવ ફાઉન્ડેશનના તરુણ મિશ્રા દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભેસ્તાન ખાતેના શેલ્ટર હોમમાં 375 બેઘર લોકો આશ્રય લઈ રહ્યા છે.
તરુણ મિશ્રાએ એક દાતાની મદદથી શેલ્ટર હોમની અંદર એક ખાસ પ્રકારની લાઇબ્રેરી શરૂ કરી છે, જેથી અહીં આશ્રય લેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય. આ પુસ્તકાલયમાં બે કેર ટેકર દ્વારા બાળકોને હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી 3 ભાષાઓમાં ભણાવવામાં આવે છે.
અહીં સ્થપાયેલ પુસ્તકાલય કોઈ સામાન્ય પુસ્તકાલય નથી, પરંતુ અત્યાધુનિક પુસ્તકાલય છે. અહીં રૂમની અંદર લાઈબ્રેરી બનાવવામાં આવી છે. આ ઉપરાંત દિવાલ પર વિવિધ ચિત્રો અને શિક્ષણપ્રદ ચિત્રો કોતરવામાં આવ્યા છે.