(GNS),01
ભારે વરસાદ બાદ સુરત જિલ્લાના ખેડૂતો હવે યુરિયા ખાતર માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક તરફ ખાતરની અછત છે તો બીજી તરફ સહકારી મંડળીમાં ટેકનિકલ ખામીના કારણે ખેડૂતો યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઉભા છે. યુરિયા ખાતરનો જથ્થો સમયસર મળતો ન હોવાથી ખેડૂતોને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી છે. માંગરોળ, ઉમરપાડા સહિત સમગ્ર વિસ્તારના સહકારી ડેપો અને મંડળોમાં યુરીયા ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાતરનો નહિવત જથ્થો મળી રહ્યો છે. તો વાંકલ સહકારી મંડળી સહિતની મંડળીઓમાં વહેલા તે પહેલાના ધોરણે ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ પાકની વાવણી કરી દીધી છે તેથી હાલમાં ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જ જરૂર છે. ખેડૂતોને સમયસર ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.