સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના સમઢીયાળામાં દાદાની જમીન બાબતે મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ગંભીર અથડામણને કારણે 4 લોકો ઘાયલ થયા હતા જ્યારે 2 લોકોના મોત થયા હતા. મૃતકના પરિજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ લેવાનો ઈન્કાર કર્યો હતો.
સમઢીયાળામાં બુધવારે મોડી રાત્રે જમીન ખેડવાના મુદ્દે બે અલગ-અલગ જ્ઞાતિ જૂથો વચ્ચે મારામારી થઈ હતી. બંને જૂથોમાં તીક્ષ્ણ હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં બે ભાઈઓના મોત થયા હતા. મૃતકોની ઓળખ અલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર તરીકે થઈ છે. જ્યારે એક મહિલા સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આ અથડામણ અને બંને ભાઈઓના મોત બાદ તેમના પરિવાર અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને ભાઈઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે સમાજના તમામ લોકો પણ પહોંચી ગયા હતા. બે હત્યાના બનાવ સંદર્ભે મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્ર થયા હતા.
મૃતકના પુત્રએ જણાવ્યું કે અમારા દાદાની સમઢીયાળામાં 70 વર્ષ જૂની જમીન છે, જેના પર અમે ખેતી કરીએ છીએ. જો કે, વિરોધી પક્ષો આ જમીન પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માંગતા હતા, તેથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં પણ આ જમીન પર તેમનો હક છે તેમ કહી અમને ધમકીઓ આપી રહ્યા હતા. ગઈકાલે મારો પરિવાર અને મારા કાકા ખેતરમાં ગયા હતા ત્યારે તીક્ષ્ણ હથિયારો સાથે 10 થી 15 લોકોએ તેમના પર હુમલો કરી મારા કાકા અને પિતાને માર માર્યો હતો. મૃતકના પરિજનોએ કહ્યું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ નહીં લઈએ.