મામલતદારના મોત અંગે ઘેરાયેલું રહસ્ય
(GNS), તા.11
પાટણ,
હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક કચેરીના ત્રીજા માળેથી પડી જતા મામલતદારનું મોત નીપજ્યું હતું. નવી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા V.O. પટેલ મૃત્યુ પામ્યા છે. જો કે મામલતદારના મોત અંગે રહસ્ય ઘેરાયેલું છે. હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે તપાસ શરૂ કરી છે. હરિજના મામલતદાર આજે સવારે કોર્ટના ત્રીજા માળેથી અચાનક નીચે પટકાયા હતા. જેને લઈને હત્યા અને આત્મહત્યા બંનેની થિયરી ચર્ચાઈ છે. ઘટનાની જાણ થતા જ કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આકસ્મિક મોતની ઘટના અંગે રાધનપુર ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે પંચનામુ કરી મૃતદેહને હારીજ સીએસસી ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. હાલ મામલતદારની લાશનું હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું છે. પીએમ બાદ મૃતદેહને બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો. આ અંગે હારીજ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મામલતદારે આજે બપોરે 3 વાગ્યે હારીજ મામલતદાર કચેરીમાં સ્થાનિક કર્મચારીઓને બોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પરંતુ તે અચાનક નીચે પડી ગયો, આપઘાત કર્યો કે તેની હત્યા કરવામાં આવી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં મોત અંગેનું રહસ્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.