સંયુક્ત રાષ્ટ્રો
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં માત્ર 5 સ્થાયી સભ્યો હોવા પર સવાલ ઉઠાવ્યા છે. સોમવારે UNSCની ચર્ચામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આખરે વિશ્વભરના દેશો 5 દેશો દ્વારા તૈયાર કરાયેલ ચાર્ટરને કેવી રીતે સ્વીકારી શકે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે માત્ર 5 દેશો જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય છે. આ દેશો એકબીજાને એવી શક્તિ આપે છે કે બાકીના વિશ્વના 188 દેશોના અભિપ્રાયને અવગણવામાં આવે છે.
ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે જો આપણે 1945ની માનસિકતા હેઠળ કામ કરવાનું ચાલુ રાખીશું તો અમે સંયુક્ત રાષ્ટ્રમાંથી લોકોનો વિશ્વાસ ગુમાવીશું. તેમણે પૂછ્યું હતું કે જ્યારે કોઈ સંસ્થામાં કેટલાક સભ્યોનો અભિપ્રાય સમગ્ર વિશ્વને લાગુ પડતો હોય ત્યારે આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સમુદાયમાં બહુપક્ષીય સંબંધો કેવી રીતે વિકસિત થશે. તેમણે કહ્યું કે 21મી સદીમાં જે વિચારધારા છેલ્લી ત્રણ પેઢીઓથી ચાલી રહી છે તે ચાલી શકે નહીં. તેમણે કહ્યું કે ભારત તેની શરૂઆતથી જ સંયુક્ત રાષ્ટ્રનો એક ભાગ છે. 26 જૂન 1945ના રોજ ભારત યુએન ચાર્ટરમાં પણ સહી કરનાર હતું.
તેમણે કહ્યું કે ત્યાર બાદ 77 વર્ષ વીતી ગયા છે, પરંતુ વિશ્વના સૌથી મોટા લોકતંત્રને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર રાખવામાં આવ્યું છે. રૂચિરા કંબોજે કહ્યું કે આફ્રિકા અને લેટિન અમેરિકાની સ્થિતિ એવી છે કે સમગ્ર ખંડમાંથી કોઈને પ્રતિનિધિત્વ મળ્યું નથી. તેમણે કહ્યું કે આજે જે પડકારો છે તેનો સામનો કરવો શક્ય નથી. આનું કારણ એ પણ છે કે દરેક જણ ભાગ લઈ શક્યા નથી. નોંધપાત્ર વાત એ છે કે, ભારત વારંવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનઃગઠનની માંગ કરતું આવ્યું છે. અમેરિકા, ફ્રાન્સ જેવા દેશોએ પણ ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.