માલીમાંથી જેહાદી હુમલાના સમાચારો સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અલગ-અલગ હુમલાઓમાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા છે. જો કે, કેટલાક સ્થાનિક અધિકારીઓનો અંદાજ છે કે મૃત્યુઆંક 80 થી વધી શકે છે. અલ-કાયદા સાથે સંકળાયેલ સંગઠન જમાત નુસરત અલ-ઈસ્લામ વાલ મુસ્લિમીન (JNIM) એ આ હુમલાઓની જવાબદારી લીધી છે. આ સંગઠને શુક્રવારે અનેક હુમલા કર્યા હતા. આ પહેલા બુધવારે ગામડાઓ પરના દરોડામાં ઓછામાં ઓછા 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા. માલિયન સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, જેએનઆઈએમ એવા ગામોને નિશાન બનાવી રહ્યું છે જેણે સ્થાનિક કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો.
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, એક સ્થાનિક યુવા નેતાએ સેના પર ગંભીર આરોપ લગાવતા કહ્યું, “અમારા હૃદયમાંથી લોહી નીકળે છે. સેનાના જવાનો નજીકમાં હોવા છતાં અને મદદ માટે વારંવાર ફોન કરવા છતાં તેઓએ દરમિયાનગીરી કરી ન હતી.”
જેલ હુમલો
રાજધાની બમાકોથી લગભગ 60 કિમી દૂર સ્થિત કેનિરોબા સેન્ટ્રલ જેલ પર સશસ્ત્ર લડવૈયાઓએ હુમલો કર્યાની ઘટના બાદ આ હિંસા વધુ તીવ્ર બની છે. આ એક નવનિર્મિત જેલ છે જેમાં લગભગ 2,500 કેદીઓ રહે છે. આમાં ઓછામાં ઓછા 72 કેદીઓનો સમાવેશ થાય છે જેમને માલિયન સત્તાવાળાઓ દ્વારા અત્યંત જોખમી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
બામાકોને ઘેરી લેવાની ધમકી
પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની જ્યારે JNIM એ ગયા અઠવાડિયે જાહેરાત કરી કે તે રાજધાની બમાકો તરફ જતા રસ્તાઓ પર ચેકપોઇન્ટ સ્થાપીને શહેરને સંપૂર્ણ ઘેરો બનાવવાનો ઇરાદો ધરાવે છે.
લશ્કરી સ્થિતિ અને જોડાણ
માલીના સૈન્ય કમાન્ડર, જીબ્રીલા માગાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું કે ખતરો હજુ પણ છે. 25-26 એપ્રિલથી હુમલાઓ વધ્યા છે, જ્યારે JNIM એ તુઆરેગ-પ્રભુત્વ ધરાવતા અઝાવાદ લિબરેશન ફ્રન્ટ (FLA) સાથે હાથ મિલાવ્યા હોવાના અહેવાલ છે. માલીના સંરક્ષણ પ્રધાન સાડિયો કામારા એપ્રિલમાં મોટા હુમલાઓમાં માર્યા ગયા હતા અને માલીના નેતૃત્વ સાથે ઊભેલા રશિયન સૈનિકોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઉત્તરીય શહેર કિડાલમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

