સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૩/૦૨/૨૬ના ઠરાવથી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) સિટીના ચેરમેન તરીકે હસમુખ અઢિયાને સ્થાને ઉદય સુરેશ કોટકની નિમણૂક કરવામાં આવી છે. આ ઘટના અંગે સચિવાલયમાં અનેક તર્કવિતર્ક ચાલે છે.
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો તો એવું કહેવાય છે કે હસમુખ અઢિયાના આગ્રહી સ્વભાવને કારણે તેઓને આ પદ પરથી વિદાય કરવામાં આવ્યા છે.મહત્વની વાત તો એ છે કે આ ઠરાવમાં હસમુખ અઢિયાને ‘દાઝ્યા પર ડામ’ આપ્યા હોય એવા શબ્દો વપરાયા છે.દા.ત.(૧)ઃ-તાત્કાલિક અસરથી’ એવો જે શબ્દપ્રયોગ થયો છે,જે ખરેખર ‘ચાર્જ સંભાળે ત્યારથી’ એ પ્રમાણે કરવામાં આવતો હોય છે.

એમાં અઢિયાનો તેજોવધ થયો હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે(૨)ઃ-આ ઠરાવમાં અગાઉ હસમુખ અઢિયાની નિમણૂકના ઠરાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે પ્રણાલીગત નથી અને(૩)ઃ-અગત્યની વાત એ છે કે સદરહુ ઠરાવમાં આ નિમણૂકની શરતો,મુદત અંગે કોઈ ઉલ્લેખ નથી.
જે હવે પછી નક્કી કરવામાં આવનાર છે!આ બધું સૂચવે છે કે આ નિર્ણય અને નિમણૂકનો ઠરાવ અત્યંત ઉતાવળથી કરવામાં આવ્યો છે! સરકારને કેમ કુશળ વહીવટકર્તા ગણાતા હસમુખ અઢિયા પ્રત્યે આટલો બધો અણગમો થયો હશે એમ સહુ સચિવાલયમાં પૂછી રહ્યા છે!
અમૂલની કેન્ટીનની દાદાગીરી અને સરકારની તેમજ વિધાનસભા સચિવાલયની લાચારી

ગુજરાત વિધાનસભામાં ભોંય તળિયે એક કેન્ટીન આવેલી છે.જેનુ સંચાલન અમૂલ કરે છે. નીચલા મધ્યમ વર્ગને આ કેન્ટીન મોંઘી લાગે એવા એમાં વેચાતી વસ્તુઓના ભાવ છે. આ કેન્ટીનમા વિધાનસભાના કર્મચારીઓ ઓ તો જવાનું પસંદ જ નથી કરતા.
વળી, વિધાનસભા ચાલું હોય ત્યારે ખાસ ફરજ બજાવવા આવતા કર્મીઓ માટે સરકાર તરફથી ચા-નાસ્તા માટે કુપન આપવામાં આવે છે.એક કુપન રૂ.૬૦/-નુ મૂલ્ય ધરાવતી હોય છે.
આ કેન્ટીનના સંચાલકોની દાદાગીરી એવી છે કે એ રૂ.૬૦/-કુપનથી જો કોઈ કર્મચારી રૂ.૩૦/-ની ચીજવસ્તુ ખરીદે તો બાકીના પૈસા અમૂલ પાછા ન આપે અને ગ્રાહકે ફરજિયાત બાકીના વધેલા પૈસાનું કંઇક ખરીદવું જ પડે!
આ ગ્રાહકોની લાચારી છે અને સરકાર તેમજ વિધાનસભા સચિવાલયની લાચારી એ છે કે તેઓ અમૂલને કશું કહી શકે તેમ નથી.વિધાનસભાના અધ્યક્ષ ડેરી સાથે સંકળાયેલા હોવા છતાં તેઓ પણ અમૂલને કંઈ કહી શકતા ન હોય તો એ તો સમયની બલિહારી જ ગણવી રહીને?

