IND vs NZ: મેચ પહેલા બંને ટીમો ઈજાઓથી પરેશાન, આંકડામાં ન્યુઝીલેન્ડ ભારત કરતા આગળ.
રવિવારે ધર્મશાલામાં યોજાનારી મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. તેઓ ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે દરેક ખામીને દૂર કરવા માંગે છે. વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ, સૂર્ય કુમાર યાદવ અને ઈશાન કિશન લાંબા સમય સુધી નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી હતી.
સૂર્ય કુમાર યાદવે પ્રેક્ટિસ દરમિયાન તેના કાંડાને ટ્વિસ્ટ કર્યું અને તેના પર આઈસ પેક લગાવવામાં આવ્યું. આ પછી તે નેટ પ્રેક્ટિસથી દૂર રહ્યો. ઈશાન કિશનને પ્રેક્ટિસ દરમિયાન મધમાખીએ ડંખ માર્યો હતો. તેને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવી.
બીજી તરફ, ન્યૂઝીલેન્ડ રવિવારે ICC વર્લ્ડ કપમાં ભારત સાથેની મેચ માટે તૈયાર છે. આ ટીમ શનિવારે ધર્મશાલાના ખુશનુમા વાતાવરણમાં HPCA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા આવી હતી. કિવી ટીમનો કેપ્ટન કેન વિલિયમસન આ મેચ નહીં રમે. બાંગ્લાદેશ સાથેની મેચમાં તેના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જો ટીમ સેમીફાઈનલમાં પહોંચે છે તો તે કદાચ પુનરાગમન કરી શકે છે.
પરંતુ વિલિયમસનની ગેરહાજરીની કિવી ટીમ પર કોઈ અસર થઈ નથી. ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર અને ડેરીલ મિથસેલ જેવા ખેલાડીઓ જવાબદારીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે. વિલ યંગ પણ ટોપ ઓર્ડરમાં સારું યોગદાન આપી રહ્યો છે. અનુભવી ટિમ સાઉથીની ગેરહાજરીમાં પણ ન્યુઝીલેન્ડ પાસે શક્તિશાળી બોલિંગ કાફલો છે.
આંકડાઓમાં, અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ ટેબલમાં ભારતથી આગળ છે. વનડે વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ નવ વખત સામસામે આવી ચુક્યા છે. ભારત માત્ર ત્રણ વખત જીત્યું છે જ્યારે ન્યુઝીલેન્ડ પાંચ વખત જીત્યું છે. એક મેચ રદ કરવામાં આવી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યા છે. બંનેએ ચારમાંથી ચારેય મેચ જીતી છે. પરંતુ કીવી ટીમ સારા નેટ રન રેટના કારણે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.