ઈન્ડિયા એ.આઈ. સમિટના કોંગ્રેસે કરેલા વિરોધને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ગણાવતાં મુખ્યમંત્રીશ્રી
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ દ્વારા ઈન્ડિયા એ.આઈ. સમિટના કરવામાં આવેલા વિરોધને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ગણાવ્યો છે. ભાજપનો વિરોધ કરતાં કરતાં કોંગ્રેસે હવે ભારતનો વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના આ વલણ અંગે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દ્રષ્ટિવાન નેતૃત્વમાં સમગ્ર વિશ્વએ “નવા ભારત”નો ઉદય એ.આઈ. ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતા દ્વારા સ્પષ્ટ રીતે જોઈ છે. આ સમિટ માત્ર એક કાર્યક્રમ નહિં,પરંતુ ભારતની ટેકનોલોજીક્ષેત્રે વધતી શક્તિ અને વૈશ્વિક નેતૃત્વની દિશામાં મજબૂત પગલું સાબિત થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ પહેલથી ભારતના યુવાઓને નવા સ્વપ્નો અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે અનુકૂળ માહોલ મળ્યો છે. સ્ટાર્ટઅપ્સ અને ઇમર્જિંગ સેક્ટર્સમાં યુવાશક્તિ માટે અપાર તકોનું સર્જન થયું છે,તે ભારતને આત્મનિર્ભરતા અને નવીનતાની દિશામાં વધુ મજબૂત બનાવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઐતિહાસિક ઉપલબ્ધિ અને વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની સકારાત્મક છબીને સ્વીકારી ન શકનારા લોકો દ્વારા સમિટનો વિરોધ કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,જ્યારે જ્યારે ભારત વિશ્વમંચ પર ગૌરવ પ્રાપ્ત કરે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત રહી છે. દેશની યુવાશક્તિ માટે વિકાસના નવા દ્વાર ખુલતાં હોય ત્યારે પણ કોંગ્રેસ દ્વારા થયેલો આવો સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો અને નકારાત્મક માનસિકતાનો પ્રયાસ છે. કોંગ્રેસે આવા વર્તન માટે આત્મચિંતન કરવું જોઈએ અને દેશની માફી માંગવી જોઈએ એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

