પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂરી કરીને તેઓ UAE પહોંચ્યા છે. જ્યાં તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. પીએમ મોદીની મુલાકાત દરમિયાન UAE અને ભારત વચ્ચે અનેક કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારત અને UAE સ્થાનિક ચલણમાં વેપાર વ્યવહાર કરવા સંમત છે
UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી અને કહ્યું, ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થાનિક ચલણમાં વેપાર વ્યવહાર કરવા માટે સંમત થયા છે. પીએમ મોદીએ કહ્યું, અમે અમારી ભાગીદારીને મજબૂત કરવા નવી પહેલ કરી રહ્યા છીએ. બંને દેશોની કરન્સીમાં વેપાર કરાર અંગેનો આજનો કરાર આપણા મજબૂત આર્થિક સહયોગ અને વિશ્વાસને દર્શાવે છે.
પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને પોતાના સાચા મિત્ર ગણાવ્યા
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને કહ્યું, ભારત તમને સાચો મિત્ર માને છે. પીએમ મોદીએ કહ્યું, અબુ ધાબી આવીને તમને મળીને ખુશ છું. હું તમને આપેલા ઉષ્માભર્યા સ્વાગત માટે અને તમે મને બતાવેલ સન્માન માટે તમારો આભાર માનું છું. દરેક ભારતીય તમને સાચા મિત્ર તરીકે જુએ છે.
ભારત-UAE દ્વિપક્ષીય વેપાર US$85 બિલિયન સુધી પહોંચ્યો છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત-UAE દ્વિપક્ષીય વેપાર US$85 બિલિયન સુધી પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં US$100 બિલિયનને પાર કરશે. તેમણે કહ્યું કે, UAE સાથે સ્થાનિક ચલણમાં વેપાર અંગેના કરારથી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન મળશે. ગયા વર્ષે CEPA પર હસ્તાક્ષર થયા બાદ ભારત-UAE વેપારમાં 20 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
PM મોદીએ UAEની ‘COP-28’ની અધ્યક્ષતા માટે ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ‘COP-28’ના અધ્યક્ષપદ દરમિયાન ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદીએ શનિવારે UAEમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ કોન્ફરન્સ ‘COP28’ના નિયુક્ત પ્રમુખ ડૉ. સુલતાન અલ જાબેર સાથે અર્થપૂર્ણ વાતચીત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગ્ચીએ ટ્વિટ કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈમાં યોજાનારી ‘કોપ28’ના નિયુક્ત અધ્યક્ષ અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપનીના ગ્રુપ સીઈઓ ડૉ. સુલતાન અલ જાબેર સાથે ફળદાયી બેઠક કરી. તેમણે કહ્યું કે, ડૉ. જાબેરે વડાપ્રધાનને આગામી ‘કોપ-28’ વિશે માહિતી આપી. વડાપ્રધાને UAEની ‘COP-28’ની અધ્યક્ષતા દરમિયાન ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
કોપ 28 શું છે
2023 યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ અથવા UNFCCના પક્ષકારોની પરિષદ, જેને સામાન્ય રીતે ‘COP-28’ તરીકે ઓળખવામાં આવે છે, તે 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન દુબઈમાં યોજાશે. 1992માં પ્રથમ યુએન ક્લાઈમેટ એગ્રીમેન્ટથી, આ કોન્ફરન્સ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ ભવનમાં PM મોદીનું ભવ્ય સ્વાગત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું UAE ના રાષ્ટ્રપતિ મહેલ, કસર અલ વતન ખાતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં UAE ના રાષ્ટ્રપતિ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ગાર્ડ ઓફ સલામીનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બાળકોએ હાથમાં ત્રિરંગો લીધો હતો.
કોરોના મહામારી દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના કરારો થયા હતા
કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારત અને UAE વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ગતિ આપનાર વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને UAE વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને લોકો-થી-લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સંબંધો મજબૂત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદને કહ્યું, તમારી દ્રષ્ટિ અને સ્પષ્ટ વિચાર ભારત-UAE સંબંધોની સૌથી મોટી સંપત્તિ છે.
પીએમ મોદીએ ફ્રાન્સ પ્રવાસ દરમિયાન અનેક કરાર કર્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ શનિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની એક દિવસીય મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા. તેમણે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી અને ત્યાં તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.