આજી નદી કિનારે લગભગ 1,500 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
૬૪ JCB, ૯૦ ટ્રેક્ટર, ૭ હિટાચી, ૫૦ બ્રેકર, ૪૨ ગેસ કટર અને ૧૪ ડમ્પર સહિત ૨૬૦થી વધુ મશીનો, ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત, ૨૫ ડ્રોન કેમેરા અને ૩૦ વોકીટોકી દ્વારા મોનીટરીંગ-312 કરોડની જગ્યા ખુલ્લી થશે
રાજકોટ, મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે સવારથી જ શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને ૭ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-૧ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
શહેરના સુવ્યવસ્થિત વિકાસ, નદી કાંઠા વિસ્તારને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાનો હેતુ અને ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિઓથી બચાવ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વિશાળ કામગીરીનો ધમધમાટ ચાલી રહયો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જંગલેશ્વર વિસ્તારમાં એક મેગા ડિમોલિશન ઝુંબેશ ચલાવી રહ્યું છે, જેમાં ટી.પી. રોડ અને આજી નદી કિનારે લગભગ 1,500 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

પંદર વર્ષ પહેલાં જંગલેશ્વર વિસ્તારમાં નદીકાંઠે અને અસ્થાયી વસાહતમાં જીવન જીવતા અનેક પરિવારોને સરકારશ્રી દ્વારા વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત જાહેર ડ્રો મારફત પોતાના પક્કા ઘરનો લાભ મળ્યો હતો.
સંબંધિત રહેવાસીઓને અગાઉથી નોટિસ આપી, સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સમયમર્યાદા આપવામાં આવી, એસ્ટેટ, ટાઉન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, લાઈટ, પાણી પુરવઠા તથા પોલીસ વિભાગ સાથે સંકલન, જરૂરી મશીનરી, માનવબળ અને વાહનોની વ્યવસ્થા, આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને કાયદેસર રીતે અમલમાં મુકાઈ છે.
આ ઓપરેશનમાં ૬૪થી વધુ JCB, ૯૦ ટ્રેક્ટર, ૭ હિટાચી, ૫૦ બ્રેકર, ૪૨ ગેસ કટર અને ૧૪ ડમ્પર સહિત ૨૬૦થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.
સુરક્ષાના ભાગરૂપે ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૦૨૬ મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર ૨૫ ડ્રોન કેમેરા અને ૩૦ વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

