સરકાર દ્વારા પાણી માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. એક તરફ જળસંચય અભિયાન ચલાવવામાં આવે છે તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે પાણીનો બગાડ થાય છે. આવો જ એક કિસ્સો માલપુરમાં પ્રકાશમાં આવ્યો છે.માલપુર નગરમાં એક ટેકરી પર લાખો લીટર પાણીની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે. જેના કારણે માલપુર અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. આ પાણીના વિતરણ માટે ટાંકીમાંથી મુખ્ય પાઇપલાઇન નાખવામાં આવી છે. જે માલપુરના ગોધરા રોડ પર વત્રકપુલ પાસેથી પસાર થાય છે.
છેલ્લા એક સપ્તાહથી આ પાઈપલાઈનમાં ભંગાણ છે. દરરોજ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. એક તરફ ચાલુ ચોમાસાની સિઝનમાં પૂરતો વરસાદ થયો નથી અને ઉપરવાસમાં પણ વરસાદ નથી. તેથી જળાશયો પણ ભરી શકાતા નથી. આવી સ્થિતિમાં તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાય છે. આ પાણીના લીકેજને કારણે આગળના ગામોમાં પણ નિયમિત પાણી પહોંચી શકતું નથી. આવા સંજોગોમાં પાણી પુરવઠા તંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તંત્ર જાગે અને માલપુર નજીકથી નીકળતું પાણી અટકાવે તેવી માંગ ઉઠી રહી છે.