નેપાળ પૂર અપડેટ્સ: પાડોશી દેશ નેપાળના ઉત્તર ભાગમાં આવેલા રાસુવા જિલ્લામાં બુધવારે (26 ઓગસ્ટ) સવારે આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. ત્યાં અચાનક આવેલા પૂરને કારણે ક્ષણભરમાં નદીઓ પર બનેલા પુલ અને મકાનો તૂટી પડ્યા અને પૂરમાં ડૂબી ગયા. આ વિનાશક પૂરને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 291 વિદેશી પ્રવાસીઓ ગુમ થયા હોવાના અહેવાલ છે. જેમાંથી 105 ભારતીયો છે. નેપાળ ટૂરિઝમ બોર્ડે આ માહિતી આપી છે. ચીનના તિબેટ ક્ષેત્રની ભોતેકોશી નદીમાં પાણીમાં અચાનક વધારો થવાને કારણે આ ભયાનક પૂર આવ્યું છે. વડાપ્રધાન બલેન્દ્ર શાહે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઈમરજન્સી બેઠક બોલાવી છે અને તમામ હેલિકોપ્ટર કંપનીઓને એલર્ટ પર મૂકી છે.
એવી આશંકા છે કે આ ઘટના અચાનક ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ (GLOF) અથવા નેપાળના ઉપલા હિમાલય વિસ્તારમાં બરફ પીગળવાને કારણે બની હોઈ શકે છે, કારણ કે સ્થાનિક રીતે કોઈ ભારે વરસાદ ન હતો. આ વિનાશક પૂરના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે નેપાળના નુવાકોટ અને ધાડિંગ જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક પૂરના કારણે તબાહી મચી ગઈ છે. નેપાળી મીડિયાના અહેવાલો અનુસાર, પૂરના પાણી સરહદની તિબેટ બાજુથી આવ્યા હતા, જેના કારણે નેપાળમાં ભારે નુકસાન થયું હતું અને ઘણા ગામો ધોવાઈ ગયા હતા.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 384 મુસાફરો લાપતા છે
નેપાળ સમાચારે કેન્દ્રીય પોલીસના પ્રવક્તા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક (ડીઆઈજી) અબીનારાયણ કાફલેને ટાંકીને જણાવ્યું હતું કે નુવાકોટ અને ધાડિંગ જિલ્લામાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા આઠ મૃતદેહો મળી આવ્યા છે. નેપાળ ટૂરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, પૂર પ્રભાવિત વિસ્તારમાંથી ઓછામાં ઓછા 384 પ્રવાસીઓ ગુમ થયા હોવાના અહેવાલ છે, જેમાં 291 વિદેશી અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે વિદેશીઓમાં 105 ભારતીય નાગરિકો છે. અધિકારીએ જણાવ્યું કે રાસુવા જિલ્લામાં ઓછામાં ઓછા 26 નેપાળ પોલીસ કર્મચારીઓ હજુ પણ ગુમ છે. આર્મ્ડ પોલીસ ફોર્સે પણ કહ્યું છે કે તેના સાત સૈનિકો ગુમ છે.

