નેપાળ ફ્લેશ ફ્લડઃ નેપાળ-તિબેટ સરહદેથી આવેલા અચાનક પૂરનો સામનો કરી રહેલા નેપાળ સામે એક નવો પડકાર આવી ગયો છે. મૃત્યુઆંક 734ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં નજીકના શબઘરો પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. આ મૃતદેહો રાખવા માટે જગ્યાની અછત છે. હવે આ મામલે નેપાળ સરકારે નિર્ણય લીધો છે કે તે આ અજાણ્યા મૃતદેહોને સન્માન સાથે દફનાવશે. પરંતુ આ પહેલા તેમના ડીએનએ કલેક્ટ કરવામાં આવશે. જેથી તેઓને પાછળથી ઓળખી શકાય. નોંધનીય છે કે સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કાટમાળ નીચે સતત મૃતદેહો મળી રહ્યા છે. આવી સ્થિતિમાં રોગચાળો ફેલાવાનું જોખમ વધી ગયું છે.
નેપાળના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સરકાર મૃતદેહોને લાંબા સમય સુધી સાચવી શકતી નથી. ચિતવનના અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહોને સુરક્ષિત રાખવા મુશ્કેલ બની રહ્યા છે. કારણ કે હોસ્પિટલોમાં પૂરતી સુવિધાઓ નથી. સંક્રમણ ફેલાવાના જોખમને જોતા અધિકારીઓએ શનિવારથી જ તેમને દફનાવવાનો નિર્ણય કર્યો છે. એક અધિકારીએ કહ્યું, “જેમ જેમ મૃતદેહોની સંખ્યા વધી રહી છે, અમારી પાસે જગ્યા ઓછી થઈ રહી છે. અમે એક ઘરનો ઉપયોગ ઠંડક કેન્દ્ર તરીકે કર્યો છે. પરંતુ તે પૂરતું નથી. તેથી હવે દફન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”
મૃતદેહોને દફનાવતા પહેલા ડીએનએ સેમ્પલ લેવામાં આવશે
અધિકારીઓએ જણાવ્યું કે આ અજાણ્યા મૃતદેહોને દફનાવતા પહેલા તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેથી તેઓને પાછળથી ઓળખી શકાય. મૃતદેહોને ઓળખ અને સંદર્ભ નંબરો પણ આપવામાં આવી રહ્યા છે અને તેમનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં જો ડીએનએ મેચ થાય તો સંબંધીઓ મૃતદેહો શોધીને પરત લઈ શકે. અત્યાર સુધીમાં 100 મૃતદેહોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે.

