શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દેશ-વિદેશના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરરોજ લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતા અંબાના દર્શન કરવા આવે છે. અંબાજીમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવે છે. આજથી અંબાજીમાં ઋષિ-મુનિઓ અને નાગાબાબાઓનું આગમન શરૂ થઈ ગયું છે.
શ્રી શંભુ પંચ દશનમ આવાહન અખાડા અને શ્રી અંબાજી સંત મંડળ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે શાહીસ્નાન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ફરી આ વખતે પણ 15મી જાન્યુઆરીએ અંબાજીના કોટેશ્વર અને અંબાજી નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સાધુસંત અને નાગાબાબા આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ દિવસથી ઋષિ-મુનિઓ અને નાગાબાવો ધ્વજા લઈને આવવા લાગ્યા. આજથી 15 જાન્યુઆરી સુધી દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માનસરોવર આરતી, કુમારી પૂજા, રાજવી સ્થળ, શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.