સુરતઃ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે દિવાળીની મોટી ભેટ આપી છે. વંદે ભારત ટ્રેનના ત્રણ રૂટ લંબાવવામાં આવ્યા છે. જેમાંથી એક ટ્રેનને સુરતના ઉધના સુધી લંબાવવામાં આવી છે.
કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જર્દોષે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી કે વંદે ભારત ટ્રેનના ત્રણ રૂટ લંબાવવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોની મુસાફરીની ઝડપ વધશે.
મુસાફરોની સુવિધા વધારવા માટે, ટ્રેન નંબર 20661/62 KSR બેંગલુરુ-ધારવાડ વંદે ભારત એક્સપ્રેસને બેલાગવી સુધી લંબાવવામાં આવી છે. 22925/26 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઉધના (સુરત) સુધી લંબાવવામાં આવી છે. 22549/50 ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવી છે.
સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે વરદાન
અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન 24 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. આ વંદે ભારત ટ્રેન જામનગર અને અમદાવાદ વચ્ચે દોડતી હતી. તેનું વિરામ રાજકોટમાં છે. આ વંદે ભારત ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વાયા રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ વચ્ચે દોડી હતી. હવે આ ટ્રેન સુરતના ઉધના સુધી દોડશે. રેલવેનો આ નિર્ણય સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે વરદાન સાબિત થશે.