(GNS),20
મણિપુરના ઈમ્ફાલ એરપોર્ટ વિસ્તારમાં રવિવારે માનવરહિત એરિયલ વ્હીકલ (UAV) જોવા મળ્યા બાદ હંગામો થયો હતો. જે બાદ મણિપુરના ઈમ્ફાલ એરપોર્ટને એલર્ટ કરવામાં આવ્યું હતું. આ કારણોસર 4 કલાક સુધી એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. એલર્ટને પગલે બે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ત્રણ ફ્લાઈટ મોડી પડી હતી. ઈમ્ફાલના વીર ટિકેન્દ્રજીત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બનેલી ઘટના બાદ સુરક્ષા અધિકારીઓ એલર્ટ પર છે. ઈમ્ફાલ નિયંત્રિત એરસ્પેસમાં એક અજાણ્યું ડ્રોન જેવી વસ્તુ જોવા મળી હતી. જેના કારણે અગરતલા, ગુવાહાટી અને કોલકાતાની લગભગ ત્રણ ફ્લાઈટ્સ સાંજે 6 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આખરે સાંજે 6 વાગ્યે ફ્લાઈટ સેવા શરૂ થઈ હતી. આ વસ્તુને પહેલીવાર બપોરે સીઆઈએસએફના જવાને જોઈ હતી..
ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર ચિપેમ્મી કીશિંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઇમ્ફાલ નિયંત્રિત એરસ્પેસમાં એક અજાણ્યો ફ્લાઇંગ ઑબ્જેક્ટ જોવા મળતા બે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને ત્રણ ફ્લાઇટ્સ વિલંબિત કરાઈ હતી. બાદમાં ફ્લાઇટ સેવાઓ શરૂ થઈ હતી. એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ના અધિકારીએ જણાવ્યું હતું કે તેમને બપોરે 2.30 વાગ્યે CISF તરફથી એક સંદેશ મળ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે એરપોર્ટ નજીક એક માનવરહિત એરિયલ વ્હીકલ (UAV) ઉડી રહ્યું છે. કોલકાતાથી ઇમ્ફાલ આવનારી ઇન્ડિગો ફ્લાઇટને સુરક્ષા એજન્સીઓ, CISF અને SP ઇમ્ફાલ વેસ્ટ તરફથી ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ફ્લાઈટ સ્થગિત કરવામાં આવી હતી.