ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથના એક નિવેદનથી ભારતમાં ખળભળાટ મચ્યો છે. તેમણે જણાવ્યું કે સ્પેસ એજન્સી પર દરરોજ 100થી વધારે સાયબર એટેક થઈ રહ્યા છે. સાયબર એટેકની આ ઘટનાઓ એટલા માટે બની રહી છે કારણ કે ઈસરો દરરોજ સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે. જો કે, ગભરાવાની જરૂર નથી, કારણ કે ISRO આવા હુમલાઓનો સામનો કરવા માટે મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે. કેરળ રાજ્યાના કોચી શહેરમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સમાં સોમનાથે જણાવ્યુ કે રોકેટ ટેક્નોલોજીમાં સાયબર હુમલાની શક્યતા ઘણી વધારે છે. ISRO ચીફે કહ્યું કે સોફ્ટવેર સિવાય ISRO હવે રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પરીક્ષણો પર પણ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ISRO પાસે ઉપગ્રહો પણ છે જે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં મદદ કરે છે. આ બધા વિવિધ પ્રકારના સોફ્ટવેર દ્વારા નિયંત્રિત થાય છે. આ બધાની સુરક્ષા માટે સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે.