અમદાવાદ.
ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના દૈનિક કેસ 100થી નીચે નોંધાયા છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 74 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન વધુ 145 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. ગઈકાલે વલસાડમાં એક સંક્રમિત દર્દીનું મોત થયું હતું, પરંતુ આજે કોરોનાથી કોઈ દર્દીનું મોત ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, આજે નોંધાયેલા નવા કેસોમાં સૌથી વધુ 37 સંક્રમિત એકલા અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં 9, સુરતમાં 10 અને રાજકોટ જિલ્લામાં 3 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં 4, ડાંગ જિલ્લામાં 3 અને આણંદ, ભરૂચ અને જામનગર જિલ્લામાં 2-2 કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અત્યાર સુધીમાં કુલ 12,79,205 સંક્રમિત કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 99.10 ટકા થઈ ગયો છે.
તાજેતરની સ્થિતિ અનુસાર, રાજ્યમાં હાલમાં કોરોનાના 572 સક્રિય કેસ છે. જેમાંથી 3 દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય 569 દર્દીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.