રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા ઘેલા સોમનાથ મંદિરે શિવભક્તિનો અનોખો મહિમા દર્શાવતું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ માટે ભગવાન શિવના ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઘેલા સોમનાથ મંદિર ખાતે ત્રણ દિવસ માટે ભગવાન શિવના ચિત્રોનું “શિવ દર્શન” પ્રદર્શન યોજાયું છે. એટલું જ નહીં, જેમાં ચિત્રની પાસે ઘેલા સોમનાથનો મહિમા અને ઈતિહાસ પણ લખવામાં આવ્યો છે. જેથી નવી પેઢી અને શિવભક્તો મહિમા જાણી શકે. અમદાવાદ સ્થિત શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા સંપૂર્ણ રીતે આયોજિત આ પ્રદર્શનમાં માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરીને ભગવાન શિવની 200 થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
અમદાવાદના હસમુખ પટેલ ભગવાન શિવના પ્રખર ભક્ત છે. તે જોધપુર વિસ્તારમાં પાન પાર્લર ચલાવે છે. જે છેલ્લા 18 વર્ષથી ભગવાન શિવના ચિત્રો બનાવે છે. આ સાથે તેણે અત્યાર સુધીમાં લગભગ 500 પેઇન્ટિંગ્સ પણ બનાવી છે. માત્ર ધોરણ 10 સુધી ભણેલા હસમુખભાઈએ પેઇન્ટિંગની તાલીમ પણ લીધી નથી. જો કે, પોતાની પહેલ પર, તેમણે ભગવાન શંકરની વિવિધ ઘટનાઓ જેમ કે શિવ તાંડવ, ગંગા અવતરણ, ભસ્માસુર વધને આવરી લેતા ચિત્રો બનાવ્યા. તેઓ આ ફોટા ફક્ત સંદર્ભ માટે રાખે છે. પ્રદર્શિત તસ્વીર દ્વારા લોકો સરળતાથી બેઠા બેઠા મહાદેવના અલૌકિક દર્શન કરી રહ્યા છે.