સ્થાનિક ડેસ્ક: માણાવદર પંથકમાં ગઈકાલે દોઢથી બે ઈંચ વરસાદ પડયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે ચુડવા ગામની વાડીની ગઢીમાં અચાનક પાણી ભરાઈ જતાં એક રિક્ષા ફસાઈ ગઈ હતી. જેમાં 9નો આબાદ બચાવ થયો છે. બે મહિલાઓ સહિત ગુમ થયેલા 3 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ચુડવા ગામના સરપંચ હરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે સાંજથી ગામમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદને કારણે વાડીમાંથી ગઢી જેવા રસ્તામાં પૂરના પાણી આવતાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. તે સમયે અહીં ખેતરોમાં કામ કરવા આવતા લોકો રિક્ષા દ્વારા આવતા હતા. ત્યારબાદ રિક્ષા પાણીમાં પડી અને ફસાઈ ગઈ. રિક્ષામાં 9 લોકો સવાર હતા. જેમાંથી 9 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 3 ગુમ છે. જેમાં શાંતાબેન રાજાભાઇ રાઠોડ, સંજનાબેન ગોવિંદભાઇ સોલંકી અને ભારતીબેન ગોવિંદભાઇ સોલંકી ગુમ થઇ ગયા છે જેમની ગ્રામજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો રવાના થયો હતો.