(GNS),10
ઝારખંડમાં ખાણ ધરાશાયી થતાં 3 લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જ્યારથી અહીં ખાણ બની છે ત્યારથી ઘણા સ્થાનિક લોકોએ ગેરકાયદેસર રીતે ખનન શરૂ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઝારખંડમાં શુક્રવારે એક ગેરકાયદેસર ચાલતી ખાણ ધરાશયી થવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ ખાણના ધસવાથી ત્યાં કામ કરી રહેલા 3 મજૂરોના મોત થયા છે. તો ખાણના કાટમાળમાં હજુ પણ કેટલાક મજૂરો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં ધનબાદના એસએસપી સંજીવ કુમારે જણાવ્યું હતું કે ખાણનો જે ભાગ ધરાશાયી થયો છે તે BCCL (ભારત કૂકિંગ કોલ લિમિટેડ) હેઠળ આવે છે.
તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ એક શખ્સની બોડી રિકવર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અમે ઈજાગ્રસ્તોને લઈ BCCLના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ સાથે ધનબાદના એસએસપીનું કહેવું છે કે આ મામલે જે પણ જવાબદાર છે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. મળતી માહિતી મુજબ ખાણ ધસવાની આ ઘટના શુક્રવાર સવારના 10.30 વાગ્યાની છે. ઘટનાસ્થળ ધનબાદ શહેરથી લગભગ 21 કિલોમીટર દૂર છે.
મીડિયા રિપોર્ટસમાં પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે જ્યારથી અહીં ખાણ બની છે ત્યારથી ઘણા સ્થાનિક લોકોએ ગેરકાયદેસર રીતે ખનન શરૂ કરી દીધું હતું. સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા તો ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના BCCLના ભૌરા કોલિરી વિસ્તારની છે. હજુ પણ રાહતકાર્ય શરૂ છે. તો અધિકારીઓનું કહેવું છે કે બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ સત્તાવાર મૃત્યુઆંકની જાણકારી મળી શકશે. મળતી માહિતી મુજબ સવાર સવારમાં જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં ઘણા મજૂરો હાજર હતા.