(જીએનએસ), 21
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે અષાઢી તીજના દિવસે એટલે કે પુષ્ય નક્ષત્રમાં ભગવાન રણછોડજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાકોર રણછોડજી મંદિર સમિતિ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી આ રથયાત્રા આ વખતે પણ ભાવિક ભક્તોની સાથે ભારે ઉત્સાહ સાથે નીકળી રહી છે.
સવારે ભગવાનના બાળ સ્વરૂપને રથમાં બેસાડ્યા બાદ ચાંદીના રથને મંદિરની અંદર લઈ જવામાં આવ્યો હતો. જે બાદ મંદિરથી ઢોલ નગારા સાથે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મહેરામણ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો.
ગઈકાલે એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત દેશભરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજે ડાકોરમાં અષાઢી તીજના દિવસે એટલે કે પુષ્ય નક્ષત્રમાં આજે ભગવાન રણછોડજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાકોરની આ સૌથી જૂની રથયાત્રા છે. ભગવાન રણછોડજીના બાળ સ્વરૂપને રથમાં બેસાડવામાં આવ્યું હતું અને મંદિરેથી ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. 251મી રથયાત્રા નિમિત્તે મંદિર પરિસર ‘જય રણછોડ મક્કર ચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સવારે 9 કલાકે મંદિર પરિસરથી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી પડી હતી. ભગવાનના રથના દર્શન કરીને ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સૌથી જૂની અને પરંપરાગત રથયાત્રા ડાકોરના રણછોડજી મહારાજની ગણાય છે. આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો ભાગ લે છે. આ રથયાત્રા પહેલા નિજ મંદિરથી નીકળી લાલબાગ, રાધા કુંડ, મક્કીરીયા આરે, ગાયોના વેડ, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈને સાંજે 7 કલાકે નિજ મંદિર પહોંચશે.
રણછોડરાયના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ તેમના જ મંદિરે પહોંચતા તેમની નજર સામેથી હટી જશે. આ પછી આરતી કરવામાં આવશે અને ગોપાલ લાલજી મહારાજને તેમના પોતાના મંદિરે પરત કરવામાં આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગોપાલ લાલજી મહારાજ વિવિધ વાહનોમાં બિરાજમાન થશે. ફંગાવેલા મગ, જાંબુ, કેરી, ચણાનો પ્રસાદ ગ્રહણ કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તો આ 251મી રથયાત્રા નિમિત્તે 251 વૃક્ષોના રોપા વાવવામાં આવશે.