ડીસામાં મોડેશ્વરી સોસાયટી પાસે ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વીજેડીપી પાસેના વીજ પોલમાં ભેજને કારણે કરંટ ફેલાઈ ગયો હતો. તે અરસામાં વીજ પોલ નજીકથી પસાર થતા બે જંગલી પ્રાણીઓ પોલને અડકતાં જમીન પર પડી ગયા હતા અને વીજ કરંટ લાગવાથી બંને પ્રાણીઓના મોત થયા હતા.
ઘટના બાદ આસપાસની સોસાયટીના રહીશોએ તાત્કાલિક યુજીવીસીએલ કંપનીને ફોન કર્યો હતો, પરંતુ વીજ કંપનીની કચેરીએ કલાકો સુધી કોલ ઉપાડ્યો ન હતો, જેના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડીસામાં જ્યારે આવી ઘટનાઓ બને છે અને વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે વીજ કંપનીના ફોન રણકતા નથી. જેના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ઈમરજન્સીના સમયે તાત્કાલિક સંપર્ક કરી શકાય.