(GNS),27
PGVCL દ્વારા ભુજ તાલુકાના ખેડૂતોની હેરાનગતિ, મહેસૂલ, ટાવર લાઈનો, તળાવ, ખાતરની અછત અને નર્મદા કચ્છના નિયમિત અને વધારાના પાણીને લઈને ભારતીય કિસાન સંઘે 9 તાલુકા કચેરીઓ પર ધરણા કર્યા. નર્મદા લાવો, કચ્છ બચાવો ના નારા સાથે કચ્છના ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ એકઠા થયા હતા.
ભારતીય કિસાન સંઘ કચ્છના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે કચ્છમાં નર્મદા સબ બ્રાન્ચ કેનાલના નિયમિત પાણી પુરવઠા માટેનું ટેન્ડર ફરી એકવાર રદ કરવામાં આવ્યું છે. આ કેનાલના લાભાર્થી ગામો સરહદે આવેલા છે અને પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી તેથી નર્મદાનું પાણી જ એકમાત્ર વિકલ્પ છે. કેનાલ બનાવવા માટે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર છે, તેમ છતાં કોઈને કોઈ કારણોસર દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બનાવવાનું ટેન્ડર અવારનવાર રદ કરવામાં આવે છે.
જેથી 9મી ઓકટોબરે ભારતીય કિસાન સંઘનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને મળ્યું ત્યારે એકાદ માસમાં કામગીરી શરૂ કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે, ફરી એકવાર ટેન્ડર રદ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકાર મુખ્યમંત્રી દ્વારા ચલાવવામાં આવે છે કે પછી તંત્રના અધિકારીઓ દ્વારા તેવો પ્રશ્ન ઉભો થયો છે.
મૂળ યોજના મુજબ દુધઇ કાંઠા કેનાલનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગ ઉઠી છે. જો આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો 28મી નવેમ્બર પછી 25,000 થી 40,000 ખેડૂતો અને લોકો એકત્ર થઈને જિલ્લા કક્ષાએ ઉગ્ર આંદોલન કરશે.