સ્લેબ ભરતી વખતે સલામતીના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું
નડિયાદના મેરીડા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષની પાછળ અદનપાર્ક સોસાયટીમાં નવનિર્મિત બિલ્ડીંગ ધરાશાયી થવાના કેસમાં કોન્ટ્રાક્ટર અને બિલ્ડિંગ માલિકની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેથી સેલોન ચોકીના પીએસઆઈએ પોતે ફરિયાદી બની સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અને બિલ્ડીંગ માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું અને સલામતીના સાધનો વિના કામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
નડિયાદના મેરીડા રોડ પર રિનોવેશન હેઠળનું મકાન સોમવારે બપોરના સુમારે પત્તાના ઘરની જેમ ધરાશાયી થયું હતું. જેમાં 8 મજૂરો દટાયા હતા અને તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી. કાટમાળમાં બે લોકો દટાયા હતા. જેમને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, શહેર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સાથે સિટી એમજીવીસીએલની ટીમ પણ આવી પહોંચી હતી અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
આ અંગે સેલોન ચોકીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.એસ. ભાટીએ મકાન માલિક ફરદીન ફારૂક દલાલ (રહે. નૂતનનગર સોસાયટી, નડિયાદ) અને કોન્ટ્રાક્ટર ધનજી કુવરજી સાપરા (રહે. બાપજીનગર, પવનચક્કી રોડ, નડિયાદ) સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં મકાન માલિકે પ્લોટમાં મકાન બનાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરને સોંપી હતી. ઘરના માલિક ફરદીને તેનું ઘર બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર ધનજીને પ્રતિ ચોરસ ફૂટ રૂ. 200ના વેતન પર સોંપ્યું. કોન્ટ્રાક્ટર બાર જેટલા મજૂરો સાથે અહીં કામ કરાવી રહ્યો હતો. બંને શખ્સોએ હલકી ગુણવત્તાનું મકાન બનાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત કામદારોની સુરક્ષા માટે કોઈપણ સુરક્ષા સાધનો વિના આ કામગીરી કરવામાં આવી હતી. આમ, બિલ્ડીંગ માલિક અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.