સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું ઘોડાપુર
(GNS),તા.12
નર્મદા
આ દિવાળી વેકેશનમાં એકતા નગર પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધીમાં 1.53 કરોડ પ્રવાસીઓ નોંધાયા છે. પ્રવાસીઓ અન્ય સ્થળોએ જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરી રહ્યા છે. જેના કારણે દિવાળીની રજાઓમાં નર્મદા જિલ્લાનું પર્યટન સ્થળ કેવડિયા પ્રવાસીઓથી ધમધમતું રહે છે. આ સાથે પ્રતિમા પાસે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક વગેરે તમામ 17 પ્રોજેક્ટ પણ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીની રજાઓમાં પ્રવાસીઓ દૂર સુધી ફરવાને બદલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરે છે અને અહિયાનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે. તેથી જ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આ સ્થળ ખૂબ જ ગમે છે. દિવાળીની ઉજવણી માટે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે અને વડાપ્રધાનના આ કોન્સેપ્ટના વખાણ કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના કેવડિયાના એકતાનગરમાં બનેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વિશ્વના તમામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષ 2023માં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં 31.92 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.