નવરાત્રીના પહેલા અને બીજા દિવસે વરસાદ પડશે
અમદાવાદઃ
ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 12 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢના વિસાવદરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર પંથકમાં એક કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રિમાં વરસાદ વિલન બનશે.
મોડી રાત્રે જામનગરના કાલાવડ નગર સહિત તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જામનગર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. અહીં એક કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ થયો હતો. જામનગરના નિકાવા, શીશાંગ, રાજડા, મોટા વલાડા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો હતો.
વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક જગ્યાએ વરસાદને કારણે કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન સહિતના અન્ય પાકોને નુકસાન થયું છે. નવરાત્રિ પહેલા જ મેઘરાજાનું પુનરાગમન થતા ગરબા આયોજકો અને ખેલૈયાઓને ચિંતા થવા લાગી છે.
આજથી નવરાત્રિ શરૂ થતાની સાથે જ રાજ્યના હવામાનની આગાહી બહાર આવી છે. જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ અને અન્ય સ્થળોએ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે.
આજે 15 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતના અવલ્લી, મહિસાગર અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.