કેરળ કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોની વચ્ચે ગુરુવારે તમામ શાળાઓ અને કોલેજોને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. નિપાહ વાયરસના કારણે અહીં બે લોકોના મોત થયા છે. 9 વર્ષનો બાળક ICUમાં છે. એક હેલ્થ વર્કરમાં પણ નિપાહ વાયરસની પુષ્ટિ થઈ છે. આ સાથે કેરળમાં અત્યાર સુધીમાં નિપાહના પાંચ કેસ નોંધાયા છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય ટીમ કેરળના કોઝિકોડ પહોંચી હતી. આ ટીમ નિપાહ વાયરસને લઈને જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક કરશે.
બુધવારે કોઝિકોડ મેડિકલ કોલેજની એક ટીમે નિપાહ વાયરસના પરીક્ષણ માટે મારુથોંકારા ગામમાંથી સોપારી અને જામફળના નમૂના લીધા હતા. અગાઉ, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્યમાં પુષ્ટિ થયેલ વાયરસ બાંગ્લાદેશી પ્રકાર છે. તે માણસોમાંથી માણસોમાં ફેલાય છે. આ વાયરસથી મૃત્યુ દર વધારે છે, પરંતુ તે ઓછો ચેપી છે.
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મેડિકલ વિભાગે જિલ્લામાં કેરળથી આવતા ફળોની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ વાહનોની તપાસ માટે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવવા જણાવ્યું હતું. મેંગલુરુમાં, મગજના તાવની શંકાસ્પદ દર્દીઓને નિરીક્ષણ હેઠળ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે પ્રથમ મૃત્યુ 30 ઓગસ્ટે અને બીજું મૃત્યુ 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. કેરળના ચાર જિલ્લા – કોઝિકોડ, કન્નુર, વાયનાડ અને મલપ્પુરમ વાયરસને લઈને એલર્ટ પર છે. હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અહીંની 7 ગ્રામ પંચાયતોને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવી છે. માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી છે.
કેરળના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કે શૈલજાએ કહ્યું કે નિપાહ વાયરસથી ગભરાવાની જરૂર નથી. કોઝિકોડની સ્થિતિ 2018 જેટલી ખરાબ નથી. તે સમયે આ વાયરસ અમારા માટે નવો હતો અને અમને તેની સાથે વ્યવહાર કરવાનો કોઈ અનુભવ નહોતો. હવે આને રોકવા માટે અમારી પાસે જરૂરી સુવિધાઓ છે. 2018માં કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે 17 લોકોના મોત થયા હતા. 2019 માં, કોચીમાં નિપાહ વાયરસનો એક કેસ નોંધાયો હતો. તે જ સમયે, 2021 માં પણ આનો એક કેસ કોઝિકોડમાં જોવા મળ્યો હતો.