મુંબઈઃ ઈન્ફોસિસના સહ-સ્થાપક અને ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બેને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. તેઓ UIDAIના સ્થાપક અધ્યક્ષ પણ છે. નિલેકણીએ અગાઉ સંસ્થાને 85 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેઓ IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ રકમ સંસ્થામાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. આ સિવાય એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના ઉભરતા ક્ષેત્રોમાં સંશોધનને વેગ મળશે. સંસ્થા અને નીલેકણીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આ સૌથી મોટું દાન છે. આનાથી IIT-બોમ્બેને એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સંસ્થાઓમાં અગ્રેસર બનવામાં મદદ મળશે.
નીલેકણી 1973 માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી માટે IIT બોમ્બેમાં જોડાયા હતા.તેમણે કહ્યું, “IIT-Bombay મારા જીવનનો આધાર રહ્યો છે. તેણે મારા રચનાત્મક વર્ષોને આકાર આપ્યો છે અને મારી મુસાફરીનો પાયો નાખ્યો છે. મેં આ પ્રતિષ્ઠિત સંસ્થા સાથેના મારા જોડાણના 50 વર્ષ પૂર્ણ કર્યા છે અને હું આ સંગઠનને ચાલુ રાખવા અને તેના ભવિષ્યમાં યોગદાન આપવા બદલ આભારી છું. નિલેકણીએ વધુમાં જણાવ્યું હતું કે, “આ દાન નાણાકીય યોગદાન કરતાં વધુ છે. આ તે સ્થાન માટેનું સમર્પણ છે જેણે મને ઘણું બધું આપ્યું છે અને વિદ્યાર્થીઓ માટે પ્રતિબદ્ધતા છે જે આવતીકાલે આપણી દુનિયાને આકાર આપશે.” IIT બોમ્બેના ડિરેક્ટર પ્રો. સુભાષીષ ચૌધરીએ જણાવ્યું હતું કે આ દાન સંસ્થાના વિકાસને વેગ આપશે.