લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે આજે અંબાજી મંદિરે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાજીના દર્શન કરવા ગયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભાની ચૂંટણી સંદર્ભે નિવેદન આપતાં જણાવ્યું હતું કે 2024ની ચૂંટણીમાં પાર્ટીએ પંજાબ-ચંદીગઢની જવાબદારી સોંપી છે. આ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે પાર્ટી જે પણ જવાબદારી આપે તે હું નિભાવવા તૈયાર છું. તેમજ વિજય રૂપાણીએ પીએમ મોદી ત્રીજી વખત પીએમ બને તેવી પ્રાર્થના કરી છે. વિજય રૂપાણી અને તેમનો પરિવાર બુધવારે રાત્રે અંબાજી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને ગુરુવારે સવારે અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરે દર્શન કરવા આવેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહેલી સવારે પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આ પછી હવન પાઠશાળામાં ધજા પૂજા કરવામાં આવી હતી અને મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી. બાદમાં ભટ્ટજી માતાજીની ગાદી પર ગયા અને મહારાજના આશીર્વાદ લીધા અને રક્ષણાત્મક કવચ પહેરાવ્યું.
2024ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય રાજકારણમાં કે રાજ્યના રાજકારણમાં જવાબદારી નિભાવશે તેવા પ્રશ્નના જવાબમાં રૂપાણીએ કહ્યું કે, 2024ની ચૂંટણીમાં મારી જવાબદારી પંજાબ અને ચંદીગઢ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં, ગુજરાતની અંદર મને જે પણ કામ સોંપવામાં આવે તે કરવા હું તૈયાર છું.અંબાજીના દર્શન કરવા આવેલા વિજય રૂપાણીએ કહ્યું કે, 3 રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે મેં માતા અંબાને પ્રાર્થના કરી છે કે નરેન્દ્ર મોદીને આગામી 5 વર્ષ દેશને વિશ્વ નેતા બનાવવા માટે કામ કરવાની તક આપે.