ડીસામાં વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી કરતી ટોળકીએ યુવાનનું અપહરણ કરી લૂંટ ચલાવી યુવાનને હત્યાના ઈરાદે રાજસ્થાન લઈ જતી ટોળકીને પોલીસે પકડી પાડી હતી. પાંચેય અપહરણકારોની ધરપકડ કરવામાં આવી છે અને બે દિવસના રિમાન્ડ બાદ તમામ આરોપીઓને સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં રહેતા દિનેશભાઈ ચૌધરીએ ભડથ ગામના નારણસિંહ વાઘેલા પાસેથી રૂ. 50 હજાર ઉછીના લીધા હતા. ત્યારબાદ ધીરે ધીરે વ્યાજ સહિત કુલ રૂ.5.50 લાખની રકમ ચૂકવી દીધી. તેમ છતાં આ વ્યાજખોર ટોળકી તેમની પાસેથી પૈસા પડાવી રહી હતી. દરમિયાન શેરપુરા ગામે દિનેશભાઈ ચૌધરી ઉભા હતા ત્યારે અચાનક એક કારમાં આવેલા 5 ઈસમો તેમને બળજબરીથી કારમાં નાખીને લઈ ગયા હતા. તેઓએ પશુઓને પણ માર માર્યો હતો અને તેમની પાસેથી રૂ. 20,000ની લૂંટ ચલાવી હતી.